રખડતા ઢોર મુદ્દે FIR કેમ નથી નોંધતા હવે નોંધવાની શરૂ કરો, સર્વે કરીશું તો દર દસ પગલાએ ઢોર જોવા મળશે-ગુજરાત હાઇકોર્ટ
રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની લાલ આખ
હાઇકોર્ટે AMCને કર્યા નિર્દેશ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને કાર્યવાહી કરવા આપ્યો આદેશ
રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે. પશુના કારણે અનેક અકસ્માતો થાય છે છતાં તંત્ર કોઈ એક્શન મોડમાં નથી. ત્યારે રખડતા ઢોરને લઇને ગુજરાત હાઇકોર્ટે AMCને કડક આદેશ આપી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સીધો આદેશ પારિત કરતાં કહ્યું છે કે રખડતા ઢોર મુદ્દે બે અધિકારીઓની નિમણુક તાત્કાલિકના ધોરણે કરો, સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના અમલ મામલે પણ ધ્યાન રાખવામાં આવે તેમજ સાથે સાથે પકડાયેલા ઢોરનું વ્યવસ્થાપન વ્યવસ્થિત થઈ શકે તે માટે આયોજન પણ કરવામાં આવે.
રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરો, 3 દિવસ 24 કલાક રખડતાં ઢોર પકડવાનું કામ કરો: ગુજરાત હાઈકોર્ટ
તે ઉપરાંત AMC પર આકરું વલણ દર્શાવી રખડતાં ઢોર મામલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે અને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનુ કરે તેવો આદેશ પણ આપ્યો છે. સાથે જ ટાંક્યું છે કે ઢોરના કારણે કેટલા અકસ્માત થયા કેમ FIR નથી? સર્વે કરીશું તો દર દસ પગલાએ ઢોર જોવા મળશે, રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.
કેબિનેટ બેઠકમાં રખડતાં ઢોરને લઈ લેવાયો મોટો નિર્ણય
પ્રવકતા મંત્રી જીતુ વાધાણી એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
૧૦ કરોડની અલગથી જોગવાઈ
રાજયની ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.૧૦ કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે. પકડેલા ઢોર માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચોમાસા દરમ્યાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પુરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓને રોડ ઉપર છોડી દેવામાં આવે છે,જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબત ધ્યાને લઇને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થા ન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મુકી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ઢોરવાડામાં મુકવા માટે જે ટ્રાન્સપોર્ટેશન અંગે થનાર ખર્ચ મનપા ભોગવશે
આ માટે સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકાઓને પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મુકવા આવે ત્યારે તેને વિના મૂલ્યે રાખવાની સૂચનાઓ આપી દેવાઈ છે.અને પશુઓને પુરતી સગવડો પણ આપવાની રહેશે. પશુપાલકોને પશુઓ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાના ઢોરવાડામાં મુકવા માટે જે ટ્રાન્સપોર્ટેશન અંગે થનાર ખર્ચ હાલ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાએ ભોગવવશે. રાજયની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરને શહેરી વિસ્તારમાં પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
હાઈકોર્ટે સરકારને પણ કરી હતી આકરી ટકોર
મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે રખડતા પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતા પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ'. જે બાદ કેબિનેટ બેઠકમાં પશુપાલકોની મનમાની સામે સરકારે નાગરિકોના હિતમાં કેટલાક નિર્ણય કર્યા છે. રખડતા ઢોર મુદ્દે જનતાના ગુસ્સાને ખાળવા સરકારનો પ્રયત્ન કરી 8 મહાનગરપાલિકામાં રખડતા ઢોર પશુપાલકો મહાપાલિકાને હવાલે કરે તો સરકાર ખર્ચ ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.