ફાયર સેફ્ટીને લઈને હાઈકોર્ટે અમદાવાદ મનપાને આડેહાથ લીધી
હાઇકોર્ટે કાઢી AMCની ઝાટકણી
હાઇકોર્ટે કર્યો AMCને સવાલ
ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલું છે?
કોરોના હોસ્પિટલમાં વારંવાર બનતી આગની ઘટનાઓના કારણે હોઈકોર્ટે અમદાવાદ મનપાને આડેહાથ લીધી છે. કોરોના હોસ્પિટલમાં આગના કારણે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલુ છે? અને આવી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ જ કેમ કર્યા?. અમદાવાદમાં ફાયર NOC ન હોવાના કારણે હોસ્પિટલ સીલ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદની મેટરનીટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત
અમદાવાદની એક મેટરનીટી હોસ્પિટલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ફાયર NOC હોવા છતા મનપાએ હોસ્પિટલ સીલ કરી દીધી છે. ત્યારે BU પરમિશન ન હોવાથી હોસ્પિટલ સીલ કરાયાનો અમદાવાદ મનપાએ દાવો કર્યો છે. અમદાવાદ મનપાએ કહ્યું કે હોસ્પિટલ રહેણાંક મકાનમાં ઉભી કરાઇ હતી. જેથી તેને સીલ કરવામાં આવી છે.
ફાયર સેફ્ટીના અભાવે વારંવાર આગ લાગવાની ઘટના
મહત્વનું છે કે અમદાવાદમાં ફાયર સેફ્ટીના અભાવે વારંવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. થોડા સમય પહેલા ભાવનગરમાં એક કોવિડ હોસ્પિટલમાં અડધી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં 70થી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાની ન હતી થઈ.
બીજી તરફ સુરતની આયુષ હોસ્પિટલમાં પણ થોડા દિવસો અગાઉ આગ લાગવાની ઘટના બની હતી. તેના પાંચમાં માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેમાં 19 દર્દીઓની હાલત ગંભીર હતી જેમને તાત્કાલીક બીજી જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 5 દર્દીઓના મોત પણ થયા હતા.