અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી છે. શ્રેય હોસ્પિટલ મામલે થયેલ અરજી પર હાઈકોર્ટે ફાયર સેફટીની અમલવારી મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. ફાયર સેફટી બાબતે AMCને બાકાત રાખવાની બાબતની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે થયેલી અરજીનો મામલો
ગુજરાત HCએ ફાયરસેફટીની અમલવારીને લઈ સરકારની કાઢી ઝાટકણી
શ્રેય હોસ્પિટલમાં થયેલ અગ્નિકાંડને કોર્ટે દુઃખદ ગણાવ્યો અને સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમામ લોકો માટે કાયદો સરખો છે. કોર્ટે સરકારના વકીલ અને એડવોકેટ જનરલને કેટલાક વેધક સવાલ કાર્ય હતા. હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે ખાનગી હોસ્પિટલમાં આગ લાગે તો ઇમરજન્સીમાં શું કરવું તેની તાલીમ આપી? ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એની કર્મીઓને તાલીમ અપાઈ છે ?
કોર્ટે મુખ્ય સચિવ સહિતના પક્ષકારોને ફટકારી નોટિસ
નોંધનીય છે કે આ અરજીમાં અરજદારે કહ્યું હતું કે લોકો અસુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યા છે. આજ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે મુખ્ય સચિવ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના સચિવ, AMC કમિશનર, ચીફ ફાયર ઓફિસરને પણ નોટિસ ફટકારી છે.
સમગ્ર મામલે વિસ્તૃત હુકમ આગામી સમયમાં કોર્ટ કરશે જાહેર
કોર્ટે શ્રેય અગ્નિકાંડ મામલે સરકાર અને કૉર્પોરેશન પાસે વિગતવાર અહેવાલ મંગાવ્યો છે અને સમગ્ર મામલે વિસ્તૃત હુકમ આગામી સમયમાં કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે.