ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશન અને ફી મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી જેમાં કોર્ટે શાળા સંચાલકોના પક્ષમાં આદેશ આપ્યાં હતા અને ગુજરાત સરકારના શાળાઓ ફી વસૂલી નહીં શકેના પરીપત્રને રદ્દ કર્યો હતો. આ મામલે કોંગ્રેસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને ઘેરતા જણાવ્યું હતુ કે, જ્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ થયું હતુ ત્યારે સુપ્રીમને સહારે ગયેલા શિક્ષણમંત્રી વિદ્યાર્થીઓ મામલે કેમ સુપ્રીમના દ્વારે નથી જતા?
પરિપત્ર મુદ્દે સરકાર SCમાં કેમ ન જઇ શકે?: કોંગ્રેસ
મંત્રી પદ બચાવવા SCમાં જાય,વાલીઓ માટે કેમ નહીં?: કોંગ્રેસ
રાજ્ય સરકારની નીતિ-નિયત સાફ નથી: કોંગ્રેસ
કોંગ્રેસ કહે છે ભાજપ સરાકરની નીતિ સાફ નથી
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મામલે હવે મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. અને રાજ્ય સરકાર સરકાર પર નિશાન સાધ્યું છે. મનીષ દોશીએ કહ્યું કે પરિપત્ર મામલે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કેમ ન જઈ શકે? મંત્રી પદ બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો તો વાલીઓ માટે કેમ નહીં. રાજ્ય સરકારની નીતિ અને નિયત સ્પષ્ટ નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓની સરકારને કોઈ ચિંતા નથી. સરકારને ચિંતા છે તો તે માત્ર શાળા સંચાલકોની જ છે.
વાલીઓની માંગણી
કોરોનાના કાળમાં વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ખાનગી સ્કૂલ ફી નહીં ઉઘરાવી શકે તે પ્રકારના રાજ્યસરકારના પરિપત્રને હાઇકોર્ટ શિક્ષકની પણ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ફગાવી દીધો છે. ત્યારે વાલીમંડળની માંગણી છે કે આ પરિપત્રને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઇએ.
શું કહ્યું શિક્ષણમંત્રીએ?
સ્કૂલ ફી મામલે હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે આ મામલે હવે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ફી મામલે થયેલી 3 PILમાં સરકારનો બે બાબતોમાં અભિપ્રાય માગવામાં આવ્યો હતો. સરકારે ફી અંગે પણ GR કરીને અભિપ્રાય કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે હાઇકોર્ટે ફી અંગેનો GR રદ કર્યો છે અને શાળામાં શિક્ષણકાર્યા ચાલુ રાખવા આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે હાઇકોર્ટના વિસ્તૃત ચુકાદા બાદ આગળનો નિર્ણય લેવાશે. અમે હાઇકોર્ટના આદેશનો સંપૂર્ણપણે પાલન કરીશું. અને હાઇકોર્ટમાં જ સમગ્ર મામલાનું નિરાકરણ આવશે.
શું કહે છે સ્કૂલ સંચાલક મંડળ
ઓનલાઇન શિક્ષણ મુદ્દે હાઇકોર્ટના આદેશને લઇ સ્કૂલ સંચાલક મંડળે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે સ્કૂલના બાળકો, વાલીઓ, સ્ટાફ અમારો પરિવાર છે. હાઇકોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. દેશની કોર્ટો દ્વારા પણ ફી બાબતે ચુકાદો આપ્યો છે જેમાં 75-80 ટકા ફી લેવા જણાવ્યું છે. ત્યારે આ અંગે સ્કૂલ સંચાલકો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરવી જોઇએ. અને બંને પક્ષે ક્યાંક જતું કરવું પડો તો કરવું જોઇએ. હાલ શાળા તાત્કાલિક ફી ભરવા દબાણ નહી કરી શકે. સ્કૂલ સંચાલક મહામંડળે કહ્યું કે શાળા, વાલી અને સરકાર પાસે આગળની પ્રક્રિયા માટે દરવાજા ખુલ્લા છે.
ઓનલાઇન શિક્ષણ અંગે હાઇકોર્ટે રદ કરેલા પરિપત્રને લઇ વાલી અને સંચાલકો હવે બેઠક કરશે. હાઇકોર્ટના આદેશનો મતલબ એ થઇ રહ્યો છે કે સરકાર પરિપત્રનો અભ્યાસ કરશે અને ત્યારબાદ કોર્ટમાં આગામી મુદ્દતે નવો પરિપત્ર રજૂ કરી શકશે. સાથે જ હાઇકોર્ટના આદેશ બાદ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે અને શાળાઓ વાલીઓને ફી ભરવા પણ દબાણ નહીં કરી.
મહત્વની વાતો
સ્કૂલ ફી મામલે હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા
ફી મામલે થયેલી 3 PILમાં સરકારનો અભિપ્રાય માંગ્યો હતો
બે બાબતોમાં અભિપ્રાય આપવામાં આવ્યો હતો
ફી અંગે પણ GR કરીને અભિપ્રાય કોર્ટમાં રજૂ કર્યો હતો
હાઇકોર્ટે ફી અંગેનો GR રદ્દ કર્યો છે
શાળામાં શિક્ષણકાર્ય ચાલુ રાખવા આદેશ કર્યો છે
હાઇકોર્ટના વિસ્તૃત ચુકાદા બાદ આગળનો નિર્ણય લેવાશે
હાઇકોર્ટના આદેશનો સંપૂર્ણપણે પાલન કરીશું
હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં નહી પડકારાયઃ ચુડાસમા
હાઇકોર્ટમાં જ સમગ્ર મામલાનું નિરાકરણ આવશે
23 એપ્રિલે ખાનગી શાળાના સંચાલકો સાથે સમજૂતિ થઇ હતી
સપ્ટેમ્બર સુધી વાલીઓ પર ફી મુદ્દે દબાણ ન કરવા કહ્યું હતું