શ્રમિકોને પોતાના વતન મોકલવા અને કોરોનાની સારવાર કરતા તબીબોના ટેસ્ટિંગ અંગે હાઈકોર્ટમાં અરજી થયેલી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા HCમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ છે. ત્યારે શ્રમિકો મુદ્દે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.
અરજદારે શ્રમિકો માટે 8500 બસની વ્યવસ્થાની કરી હતી માગણી
બસમાં શ્રમિકોને લઇ જવા આર્થિક રીતે પોષાય તેમ નથીઃ સરકાર
યાત્રિકો માટે બસ તો શ્રમિકો માટે કેમ નહીઃ અરજદારના વકીલ
શ્રમિકોને વતન મોકલવાની માંગ મામલે હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું કે, શ્રમિકોને બસમાં વતન લઇ જવાએ આર્થિક રીતે પોષાય તેમ નથી, ટ્રેન દ્વારા 14 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલી રહ્યા છે.
યાત્રિકો માટે બસ તો શ્રમિકો માટે કેમ નહીંઃ અરજદારના વકીલ
અરજદારે શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે 8500 બસોની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. ત્યારે હાઈકોર્ટમાં અરજદારના વકીલે જણાવ્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે 6000 બસોની વ્યવસ્થા થતી હોય તો શ્રમિકો માટે કેમ નહીં. યાત્રિકોને ગુજરાત લાવવા બસોની થઇ શકે છે તો શ્રમિકોને પોતાના રાજ્ય મોકલવા માટે કેમ નહીં.
શ્રમિકો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે
જોકે શ્રમિક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેને લઇને સરકારી વકીલે સમયની માંગ કરી છે. જેથી જવાબ રજુ કરવા હાઇકોર્ટએ સમય આપતા વધુ આગામી દિવસમાં સુનાવણી હાથ ધરાશે.
કોરોના ટેસ્ટ માટે ICMRની ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ: સરકાર
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના ટેસ્ટ અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના વલણ સામે તબીબો નારાજ થયા છે. ત્યારે હવે AMA દ્વારા તબીબોને કોરોના થવાનો ભય હોવાથી ઝડપી ટેસ્ટ કરવાની માગ કરાઈ છે. મેડિકલ એસોસિયેશનની માગ છે કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ત્વરિત મળે. મેડિકલ એસોસિએશને કહ્યું કે ટેસ્ટ માટે ચીફ ડેપ્યુટી હેલ્થ ઓફિસરની મંજૂરી લેવી પડે છે. ત્યારે હાઇકોર્ટમાં સરકારે રજૂઆત કરી કે કોરોના ટેસ્ટ માટે ICMRની ગાઇડ લાઇનોનું પાલન કરીએ છીએ. અને હાલની સ્થિતિ પ્રમાણે ગાઇડલાઇનમાં ફેરફાર કરવા યોગ્ય નથી. ત્યારે હાઇકોર્ટે ICMR પાસે જવાબ માગ્યો છે. અને આગામી સુનાવણીમાં ICMT પોતાનો જવાબ રજૂ કરશે.
જસ્ટીસ જે.બી. પારડીવાળાએ હોસ્પિટલના વકીલને કરી ટકોર
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના ચાર્જ મામલે હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોને સરકારી નિયમ મુજબ જ ચાર્જ લેવા આદેશ કર્યો છે. આ અંગે હાઈકોર્ટના જજ જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખો. હોસ્પિટલોએ માનવતાના ધોરણે પણ કામ કરવું પડશે. કારણ કે ઉપરવાળો બધુ જ જોઈએ રહ્યો છે. ત્યારે આ મામલે ખાનગી હોસ્પિટલના વકીલે કોર્ટમાં કહ્યું કે ચાર્જમાં 10 ટકાનો ઘટાડો કરીશું.