રખડતા પશુ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા 17 ઓક્ટોબર સુધી 24 કલાક પશુ પકડવાની કામગીરી ચાલુ રાખવાનો આદેશ કરાયો છે.
રખડતા પશુ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
17 ઓક્ટોબર સુધી પશુ પકડવાની કામગીરી ચાલુ રાખવાનો આદેશ
24 કલાક પશુ પકડવાની કામગીરી ચાલુ રાખવી
અમદાવાદ શહેર હાલ ટ્રાફિક, ખખડધજ માર્ગ, ગેરકાયદે બાંધકામ, ગટર, વરસાદી પાણીના ભરાવા સહીતની અનેક સમસ્યાઑથી ઘેરાયેલુ છે. જેમાં હાલ સૌથી મોટી ઉપાધી અને સળગતી સમસ્યા હોય તો તે છે રાખડતા ઢોરનો ત્રાસ. રેઢીયાળ ઢોરની અડફેટે અનેક લોકના મોત નિપજ્યાં છે અને અસંખ્ય અકસ્માત થયા છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે રખડતા પશુ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે મહાનગર પાલિકાઓને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુઓ પકડવા આદેશ આપ્યો છે. સાથે જ પશુ પકડવાની કામગીરી ચોવીસે કલાક ચાલુ રાખવાનો નિર્દશ કર્યો છે.
શું હતી ઘટના ?
તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.
પશુ માલિકો ઊંચા દંડને કારણે પશુ છોડાવી રહ્યા નથી
આવી ઘટનાઓ બાદ હવે ફરીવાર ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. બીજી તરફ રોડ પર પણ એટલા ઢોર જોવા મળી રહ્યા છે અને ઢોરવાડા પણ પશુઓથી છલકાઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો દાણીલીમડા અને બાકરોલમાં કુલ 4,865 પશુ પૂરવામાં આવ્યા, પરંતુ પશુ માલિકો ઊંચા દંડને કારણે પશુ છોડાવી રહ્યા નથી. ઓગસ્ટ મહિનાથી એક પણ પશુને ઢોરવાડામાંથી છોડાયા નથી, તો આ તરફ તંત્રને એક પશુનો 1 દિવસનો નિભાવ ખર્ચ એક હજાર રૂપિયા આવી રહ્યો છે. આમ એક તરફ ઢોરવાડામાં પશું નિભાવ ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ અમદાવાદ મનપાને વધારે 3 વૈકલ્પિક ઢોરવાડા બનાવવાની ફરજ પડી છે. હાલ લાંભમાં અને નરોડામાં નવા ઢોરવાડા બની રહ્યા છે.
રખડતા પશુ પકડવા માટે વડોદરા મહાપાલિકાએ 2.72 કરોડનો ખર્ચ કર્યો
વડોદરામાં રખડતા પશુ પકડવા અભિયાન હેઠળ એક વર્ષની અંદર 4 હજાર 638 જેટલા રખડતા પશુ પકડયા છે. જો કે અધધ નાણાં ખર્ચવા છતા વડોદરામાં રખડતા પશુનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. વડોદરામાં મોટાભાગના રોડ પર રખડા પશુઓ નિર્ભિક રીતે વિચરણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રખડતા પશુ પકડવા માટે વડોદરા મહાપાલિકાએ 2.72 કરોડનો ખર્ચ કર્યો છે અને તેની સામે મહાપાલિકાને રખડતા પશુ પકડતા 32 લાખ 3 હજારની આવક થઈ છે. એક આરટીઆઈ હેઠળ વર્ષ 2021-22નીમાહિતી માગતા આ ખુલાસો થયો હતો.