રાજયની વડી અદાલતમાં હવે ઓનલાઇન સુનાવણી થશે, કોર્ટમાં માત્ર જજ અને કોર્ટ સ્ટાફ સિવાય કોઈને પરવાનગી નહી
રાજયની તમામ કોર્ટના વકીલોની ચેમ્બર રહેશે બંધ
માત્ર ઓનલાઇન સુનાવણી કોર્ટોમાં ચાલશે
રિમાન્ડ માટે કોર્ટ પરિસરની નીચે આરોપી રહેશે
રાજ્યમાં વધતા કેસોને લઇ ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. સોમવારથી રાજ્યની તમામ કોર્ટમાં ઓનલાઇન સુનાવણી થશે, કોવિડ SOPનું કડકપણે પાલન કરાવવા કોર્ટ અધિકારીઓને હાઇકોર્ટએ નિર્દેશ આપ્યો છે. સાથે જ રાજયની તમામ કોર્ટના વકીલોની ચેમ્બર બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારના આદેશથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોનાના વધી રહેલા કેસોના કારણે જજ, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સીનિયર એડવોકેટ સાથેની ચર્ચા બાદ હાઇકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં 10 જાન્યુઆરીથી ઓનલાઇન સુનાવણી કરવામાં આવશે.રિમાન્ડ માટે કોર્ટ પરિસરની નીચે આરોપી રહેશે. કોર્ટમાં માત્ર જજ અને કોર્ટ સ્ટાફ સિવાય કોઈને પરવાનગી નહીં. રાજ્યની તમામ નીચલી કોર્ટ પણ ઓનલાઇન ચાલશે. મહત્વનું છે કે અચોક્કસ સમય માટે હાઇકોર્ટે કોર્ટ ઓનલાઇન કરવાનો નિર્ણય લઈ લીધો છે જે સોમવારથી લાગુ થઈ જશે
હાઈકોર્ટના 45 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા
ગુજરાતમાં કોરોના દિવસે ડબલ અને રાત્રે ચાર ગણી કહેવતની જેમ આગળ વધી રહ્યો છે . ડોકટરો. પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઑ, નેતાઓ, ગુજરાતી કલાકારો બાદ હવે કોરોનાએ ખતરનાક રીતે હાઈકોર્ટમાં દસ્તક આપી હતી. હાઈકોર્ટના 45 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મહત્વનું છે કે ગુરુવારે HCમાં પ્રવેશ સમયે કોરોના રિપોર્ટ માટે ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે બાદ આવેલા RT-PCR રિપોર્ટમાં 45 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. જે બાદ હવે રાજ્યની તમામ કોર્ટમાં ઓનલાઇન સુનાવણી થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
રવિવારના કોરોના કેસના આંકડા
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં આજે 6275 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1263 દર્દી સાજા થયા છે. 27913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટીલેટર પર છે અને 27913 દર્દી સ્ટેબલ છે. આજે એકપણ દર્દીનું મોત નથી થયું. અત્યાર સુધીમાં 824153 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10128 દર્દીના મોત થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 95.59 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં 2487 અને સુરત શહેરમાં 1696 નવા કેસ નોંધાયા છે.