વર્ષ 2017માં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું. આ મુદ્દે પાક વીમા કંપની પાસેથી વળતર મેળવવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે પાક વીમા કંપનીની ઝાટકણી કાઢી છે.
હાઈકોર્ટે પાક વીમા કંપનીની કાઢી ઝાટકણી
અઢી વર્ષથી ખેડૂતો ધક્કા ખાય છે: HC
વીમાકંપની અને સરકાર ઝડપી નિર્ણય લે: HC
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતું કે અઢી વર્ષથી ખેડૂતો વળતર માટે ધક્કા ખાય છે. હજું સુધી પાક વીમો કેમ નથી ચૂકવાયો? આ મુદ્દે વીમા કંપની અને સરકાર ઝડપી નિર્ણય લે. વીમા કંપની અને સરકારી અધિકારીને કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં વીમા કંપની વિવાદમાં આવી હતી. આક્ષેપ હતો કે, કરોડો રૂપિયાના પ્રમિયમ છતાં વીમા કંપની ખેડૂતોને યોગ્ય વીમો ચૂકવ્યો ન હતો. ત્યારે હવે હાઈકોર્ટે વીમા કંપનીની ઝાટકણી કાઢી છે.
માત્ર 4 ખેડૂતોને વળતર ચૂકવાયું હતું
સુરેન્દ્રનગરમાં પાક નુકસાન મામલે હાઇકોર્ટમાં થયેલી અરજી અંગે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા માત્ર 4 ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. ખેડૂતોને એક્સ ગ્રેશિયા પેમેન્ટનો ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને થયેલા પાકના નુકશાન બાબતે ખેડૂતોને વળતર ચૂકવાયુ ન હતું. ત્યારબાદ રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ હાલ એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. સાથે જે પણ ખેડુતોએ વીમાના પ્રીમિયમ ભર્યા હોય પણ વળતરના મળ્યા હોય તેમના મુદ્દે યોગ્ય રેકોર્ડ જોઈને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. સુરેન્દ્રનગરના અમુક ખેડુતોએ કરેલી અરજીમાં સરકારના અને કોર્ટના વલણ બાદ વીમા કંપનીએ આ નિર્ણય લીધો હતો. જેથી આગામી સમયમાં ખેડૂતોને વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે.