થોડા દિવસો અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે 4 જાન્યુઆરીથી હાઇકોર્ટ અનલોક કરી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવશે. જોકે હજુ કેટલાક દિવસ સુધી પ્રત્યક્ષ સુનાવણી નહીં થઇ શકે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ચેમ્બરમાંથી ઓનલાઇન કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અંગે ચીફ જસ્ટિસે આદેશ કર્યા છે.
હાઇકોર્ટના જસ્ટિસ ચેમ્બરમાંથી કરશે કેસની સુનાવણી
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસનો આદેશ
4 જાન્યુઆરીથી વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરાશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે આદેશ કર્યો છે કે 4 જાન્યુઆરીથી જસ્ટિસ ચેમ્બરમાંથી કેસની સુનાવણી કરાશે. આ સુનાવણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. ત્યારે ચીફ જસ્ટિસે રજિસ્ટ્રી વિભાગને સંબંધિત તૈયારીઓ કરવા માટે આદેશ કર્યા છે. કોર્ટ કાર્યવાહી સરળતાથી ચલાવવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખીને કામગીરી કરવામાં આવશે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જીઆર ઊંધવાણીનું કોરોનાથી નિધન થયું હતું
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાએ પગપેસારો કર્યો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં 3 જજ કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા. જસ્ટિસ આર.એમ.સરીન, જસ્ટિસ એ.સી.રાવ અને જસ્ટિસ જી.આર.ઉધવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જીઆર ઊંધવાણીનું સાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. આ સિવાય હાઇકોર્ટનો કેટલોક અન્ય સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ હવે ચીફ જસ્ટીસે ઓનલાઇન સુનાવણી કરવાનો આદેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી કોરોનાના કેસ એક હજારથી નીચે આવ્યા છે. ગઇકાલે ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 988 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 1 હજાર 209 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે એક દિવસમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા હતા. જોકે અમદાવાદમાં કોરોનાના કેસ હજુ 200થી વધુ આવી રહ્યા છે અને મૃત્યુઆંક પર વધુ છે.