અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. જેમાં સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે વકીલોએ પણ અરજીની કોપી બહાર ટેબલ પર જ મુકવાની રહેશે. રાજ્યમાં વધતા કોરોના કેસોને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. હાલ બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઇઝેશનની કામગીરી થશે. તો રાજ્યની અન્ય કોર્ટને પણ સાવચેતી રાખવા હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા હાઈકોર્ટમાં પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તમામ વકીલોએ સોશિયલ ડિસ્ટન્સિંગના દિશા નિર્દેશોને પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. આ અગાઉ જાહેર જનતા માટે હાઇકોર્ટમાં પ્રવેશ પર રોક લગાવી હતી. તો હાઇકોર્ટની કેન્ટીન બંધ રાખવા પણ નિર્દેશ કરાયા હતા. જ્યારે વકીલો, કોર્ટ સ્ટાફ, અરજદાર અને પક્ષકાર માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયા હતા. વકીલોને ખોટી ભીડ ન કરવા માટે વકીલ એસો.ને નિર્દેશ કર્યા છે.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહિ તે અંગે કોર્ટ રુમમાં ગઇકાલે વિઝીટ લીધી હતી. જેમાં નિયમોનું પાલન ન કરતા કોર્ટ સ્ટાફનો સીજેએ ઉધળો લીધો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટ સ્ટાફને ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવ્યા કેમ?, કોવિડના નિયમોનું HCમાં કડકાઈથી પાલન કરો. કોર્ટ રૂમમાં વકીલ સિવાયના અન્ય વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિને આગામી સપ્તાહે પ્રિકોસન ડોઝ અપાશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ અંગે નિર્ણય લીધો છે.
રાજ્યમાં વધતા ઓમિક્રોન-કોરોનાના કેસ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી
કોરોનાના કેસ વધતા હોસ્પિટલ સજ્જ કરવા માટે કોર્ટે નિર્દેશ કર્યો છે. સાવચેતીના ભાગરૂપે તંત્રની તૈયારીઓને ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ગણાવી હતી. તો ગુજરાત હાઈકોર્ટે AMCના રસીકરણ અભિયાનની નોંધ લીધી હતી. વેક્સિન માટે જનતાને પ્રોત્સાહિત કરતી AMCની કામગીરીના કોર્ટે વખાણ કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, પહેલા જેવી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવુ.
ગઇકાલના કોરોનાના કેસની વિગત
ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. ગઇકાલે 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.