સમગ્ર ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ભારત સરકારે લોકડાઉનનો નિર્ણય લઈ લોકોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. PM મોદીએ લીધેલાં લૉકડાઉનના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતાં એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ PIL દાખલ કરી છે.
દેશમાં લૉકડાઉનનો નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે HCમાં જાહેરહિતની અરજી
અરજદારે લૉકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવા માંગ કરી
સમગ્ર મામલે કેન્દ્ર સરકાર રિપોર્ટ ફાઇલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો
ગુજરાત હાઈકોર્ટમાં આજે અરજદારે કરેલી લૉકડાઉન અંગેની PIL પર વીડિયો કોન્ફરન્સથી સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઈલેશ વોરાની સંયુક્ત બેન્ચ સુનાવણી કરી હતી. અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને લોકડાઉન લાગુ કરવા અંગે નોટિસ ફટકારી રિપોર્ટ માંગ્યો છે. આવનાર સમયમાં કેન્દ્ર સરકારે લોકડાઉન અંગે ગુજરાત હાઈકોર્ટને જવાબ રજુ કરવો પડશે.
અરજદારે કરેલી અરજીમાં એવો ઉલ્લેખ છે કે, લૉકડાઉનની પ્રક્રિયા એ ગેરબંધારણીય છે. અરજદારે કોર્ટમાં જણાવ્યું કે દેશમાં કોઈ પણ કટોકટીના સમયમાં બંધારણીય અનુચ્છેદ 21નો ભંગ ન કરી શકાય એવું અગાઉ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે. પરંતું તાત્કાલિક લાગુ કરેલાં લોકડાઉનમાં એનો ભંગ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ વિના લૉકડાઉનનું અમલીકરણ ન કરી શકે.
અરજદારે જાહેર હિતને ધ્યાને લઈ પ્રશ્ન ઉઠાવ્યો કે લૉકડાઉનના નામે દેશના કરોડો નાગરિકોને કોઈ પણ ગુના વિના ઘરમાં નજરકેદ કરાયા. આ ઉપરાંત અરજદારે PM મોદીને ટાંકીને કોર્ટને જણાવ્યું કે લૉકડાઉન આમ એકાએક લંબાવી ના શકાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપીડેમિકડિસીઝ એક્ટ ઉલ્લેખ વગર લંબાવી ના શકાય. જેમાં બંધારણના અનુચ્છેદ 13,14,19,21 નો ભંગ કરાયો છે.