2021નું છેલ્લુ સપ્તાહ,ક્રિસમસના તહેવારો અને ઓમિક્રોનનાં વધતા કેસની ચિંતા વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ 'દહીં-દૂધમાં પગ' રાખી, સંક્રમણ સંબંધિત દોષનો ટોપલો જનતા ઉપર ઢોળી દીધો
મેળાવડાઓ,કાર્યક્રમો રેલીઓના વમળમાં 'કમળ'
ગુજરાતમાં ઠેર-ઠેર કાર્યક્રમ,પણ ભીડ નિયંત્રણ નહિ
રાજ્યમાં 'ભીડ તંત્ર' ના પાપે કોરોના બન્યો કોબ્રા
ગુજરાતમાં છેલ્લા ચાર મહિના બાદ કોરોના સંક્રમણના સોમવારે સૌથી વધુ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 કેસ સામે આવતા નાગરિકોને ધ્રુજારી છૂટી ગઈ છે.2021નું છેલ્લુ સપ્તાહ,ક્રિસમસના તહેવારો અને ઓમિક્રોનનાં વધતા કેસની ચિંતા વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ 'દહીં-દૂધમાં પગ' રાખી, સંક્રમણ સંબંધિત દોષનો ટોપલો જનતા ઉપર ઢોળી દીધો છે.
આરોગ્ય મંત્રી- ખરાબ જોવું, સાંભળવું, બોલવું નહિ
રાજ્યમાં વધતા સંક્રમણ મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બે મોઢાની વાત કરી, નાગરિકોને 'આત્મનિર્ભરતા'નાં પાઠ શીખવ્યા છે. એક તરફ,સુરત,વડોદરા,બોટાદમાં સરકારી મેળાવડા,અને રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમટી ભીડ સામે કોરોનાની કેન્દ્રએ અઆપેલી અને રાજ્ય સરકાર જેને અનુસરે છે તેવી ગાઈડ લાઈનની રીતસર ધજ્જિયા ઉડે છે ત્યારે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહે છે કે, પ્રજાએ નક્કી કરવાનું છે કે સમારોહ- મેળાવડામાં જવું કે નહિ. તેમણે, આટલું કહીને લાગલો સવાલ કર્યો કે, પ્રજા શા માટે મેળવડામાં જાય છે ? સરકાર તો પોતાનું કામ કરી રહી છે. કોરોનાના કેસ બેથી ત્રણ ગણા વધી રહ્યા હોવાનો આરોગ્યમંત્રીએ એકરાર જરૂર કર્યો છે પણ પાર્ટી નેતાઓની વહારે આવવામાં પણ પાછી પાણી નથી કરતા. અને આમ કરીને રાજનેતાના સામાજિક મેળાવડાનો મંત્રીએ બચાવ કરી લીધો હતો.
પાંચ રાજ્યોમાં ચૂંટણી અને જંગી રેલીઓ
ગુજરાતમાં જ નહિ દેશભરમાં ખાસ કરીને પાંચ રાજ્યોની ચૂંટણી સમયે દેશના તમામ રાજનેતાઓ મોટી-મસ રેલીઓ કરી રહ્યા છે. હજારોની કહેવાતી ભાડુતી ભીડ એકત્રિત કરી રહ્યા છે. તો ગુજરાતમાં પણ સરકારી કાર્યક્રમો ઉપરાંત શક્તિ પ્રદર્શન જેવી રેલીઓ દિવસભર થાય છે અને રાત્રીના 11 વાગ્યાથી કડક કર્ફ્યુની અમલવારી થાય છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ચિંતા પણ ત્રીજી લહેર
રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
ત્રીજી લહેરને લઇ બોલ્યાં આરોગ્યમંત્રી
જે રીતે હાલ રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ અમરનગરની શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ શાળાને નિશ્વિત સમય માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. અમરનગર શાળામાં 7 વિદ્યાર્થીઓઓ તેમજ બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.