લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થયો છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 348 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ 10989 કેસ થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 348 કેસો નોંધાયા
સુપર સ્પ્રેડર માટે ઝૂંબેશમાં છેલ્લા 8 દિવસમાં 709 કેસ પોઝિટિવ
પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10989 થઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત થયા છે. તો કોરોનાના 273 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે કોરોનાના 273 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે જેને લઇને કુલ રિકવરી રેટ 39.20 ટકા થયો છે. જ્યારે 6010 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 138407 લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.
જયંતિ રવિએ કોરોનાના કેસ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજીવકુમાર ગુપ્તાની ટિમ દ્વારા ખાસ અમદાવાદમાં સુપર સ્પ્રેડર માટે ઝૂંબેશ ઉઠાવવામાં આવી હતી. જેમના દ્વારા છેલ્લા 8 દિવસમાં 6589 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 709 પોઝિટિવ નિકળ્યા હતા. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકના 348 અને સુપર સ્પ્રેડરના આઠ દિવસના ગઇકાલ 5 વાગ્યા સુધીના ટેસ્ટમાં 709 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યનો કુલ આંકડો 10989 થયો છે.
જયંતિ રવિએ જણાવ્યું કે, ગઇકાલ સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 127859 ટેસ્ટ કરાયા હતા. છેલ્લા 24 કલાકમાં 3961 વધારાના ટેસ્ટ કર્યા હતા. આમ કુલ ટેસ્ટ 131820 થાય છે.