કોરોનાના વધતાં કેસ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા
કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ
ટ્વિટ કરીને ઋષિકેશ પટેલે આપી જાણકારી
માંડ શાંત પડેલ કોરોના ફરી ભુરાયો થઇ રહ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેંને પગલે હાલ ઋષિકેશ પટેલ હોમ આઈસોલેટ થયા છે. આ અંગે ટ્વિટ કરીને ઋષિકેશ પટેલે જાણકારી આપી હતી.
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે.
ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું.
મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 226 કેસ નોંધાયા
ગુજરાતમાં બિલ્લી પગે કોરોના કેસોમા સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય 6 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 226 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 163 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1524 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કુલ 108 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 37 કેસ, વડોદરામાં 28 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 4 કેસ, મહેસાણામાં 5 કેસ, જામનગરમાં 4 કેસ, રાજકોટમાં 7 કેસ,કચ્છમાં 5 કેસ ,વલસાડમાં 5 કેસ નવસારીમાં 4 કેસ, ભરૂચમાં 2 કેસ, અમરેલી-આણંદ જિલ્લામાં કોરોનાના એક-એક કેસ દાખલ ખેડા અને તાપીમાં પણ એક-એક કોરોનાના કેસ દાખલ થયા છે.
સાજા થવાનો દર 98.98 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 55,584નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.09 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.98 ટકા પહોચ્યો છે.