9 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 675 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
કોરોના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો
છેલ્લા 24 કલાક દરમિયાન 675 નવા સાથે 851 દર્દી થયાં સાજા
રાજ્યમાં હવે માત્ર 7968 એક્ટિવ કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 675 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 251,273 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.10 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 47,506 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,01,01,064 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 8 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 851 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,38,965 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7968 એક્ટિવ કેસ છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 5 દર્દીના મોત
આજે કોવિડ-19થી 5 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4340 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને રાજકોટ 1, સુરત 1, વડોદરા 1 એમ 24 કલાક દરમિયાન કુલ 5 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 125-ગ્રામ્યમાં 4 કેસ, સુરત શહેરમાં 101-ગ્રામ્યમાં 22 કેસ, વડોદરા શહેરમાં 94 ગ્રામ્યમાં 27 કેસ, રાજકોટ શહેરમાં 70-ગ્રામ્યમાં 20 કેસ, નોંધાયા છે.