કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 575 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
24 કલાકમાં 575 નવા કેસ નોંધાતા કોરોનાએ ચિંતા વધારી
અમદાવાદમાં સૌથી વધુ 127 નવા કેસ
અત્યાર સુધીમાં કુલ 4415 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 459 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 4415 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,65,831 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4415 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3140 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.24 ટકા થયો છે.
મહાનગરોમાં ફરીવાર ચિંતા વધી
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 127 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 125 કેસ, ગ્રામ્યમાં 20, વડોદરા શહેરમાં 70 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 58 કેસ અને ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે.
14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.