રાજ્યમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો બાળકો પણ કોરોનાના લક્ષણો દેખાવા લાગ્યા છે. ત્યારે ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં 3575 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ
24 કલાકમાં 3575 નવા કેસ સાથે 2217 દર્દીઓ થયાં સાજા
અત્યાર સુધીમાં 4620 લોકોના કોરોનાથી મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3575 કેસ નોંધાયા છે અને 2217 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,05,149 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 22 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4620 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...