ગુજરાતમાં તહેવારો, પ્રસંગોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. જોકે રિકવરી રેટ 91 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1455 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં 1455 કોરોના કેસ સામે 1485 દર્દીઓ સાજા થયાં
હાલ રાજ્યમાં 87 દર્દીઓ વેન્ટિલેટર પર
24 કલાકમાં 17 દર્દીઓના થયાં મોત
કોરોના વાયરસના 1485 નવા કેસની સામે આજે 1485 દર્દીઓ સાજા થયા છે.અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,00,012 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 17 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે તો કુલ મૃત્યુઆંક 4081 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં હાલ 87 લોકો વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં હાલમાં 14695 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14695 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.42 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,310 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 82,41,960 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 10 લોકોના મોત
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે ત્યારે એક જ દિવસમાં 10 લોકોના મોત થયાં હતા. તો અત્યાર સુધીમાં 2119 લોકોને કોરોના ભરખી ગયો હતો.
અમદાવાદ જિલ્લામાં 306 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 15, સુરત શહેરમાં 199, સુરત જિલ્લામાં 36, વડોદરા શહેરમાં 133, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 111, રાજકોટ જિલ્લામાં 53, ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 56 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં અને હવે મહેસાણામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. તો આજે ખેડા જિલ્લામાં 56 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે.