કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું હોય તેવા હાલ સર્જાયા છે. દરરોજ નોંધાઇ રહેલા કેસથી ચિંતા વધી છે ત્યારે ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત
24 કલાક દરમિયાન 3160 નવા કેસ
રેકોર્ડબ્રેક 15 દર્દીઓના મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા છે અને 2028 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4581 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 773 કેસ અને ગ્રામ્યમાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 603 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 185 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 114 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 283 કેસ અને ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 67,62,668 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 8,10,126 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 72,72,764 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.