ભારતમાં કોરોના વાયરસના કેસ 65 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,302 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,302 કેસ નોંધાયા
કુલ આંકડો 1,42,700 પર પહોંચ્યો
આજે 1246 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 9 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 56,700 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,302 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,42,700 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.75 ટકા છે. આજે 1,246 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,22,365 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,499 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,836 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 46,45,263 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
4 જિલ્લામાં કુલ 9 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 9 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, વડોદરામાં 1 અને રાજકોટ 1 દર્દીનું મોત થયું છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ મોત આ 7 જિલ્લામાં
અમદાવાદમાં 1825, સુરતમાં 778, વડોદરામાં 191, રાજકોટમાં 144, ગાંધીનગરમાં 79, ભાવનગરમાં 66 અને પાટણમાં 41 દર્દીના મોત થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં એક પણ દર્દીનું કોરોનાથી મોત નથી થયું. આમ, રાજ્યમાં કુલ કોરોનાના દર્દીઓના મોતનો આંકડો 3500 નજીક પહોંચી ચૂક્યો છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 283, અમદાવાદમાં 191, રાજકોટમાં 152, વડોદરામાં 133 અને જામનગરમાં 92 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે મહેસાણા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.