2020ના છેલ્લા દિવસે પણ કોરોનાના કેસ ઘટ્યા. 31 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 780 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
આજે 780 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 2,45,037 પર પહોંચ્યો
આજે 916 દર્દીઓ સાજા થયા અને 4 દર્દીઓ સાજા થયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 780 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,037 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.23 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 54,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 96,52,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 916 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,30,893 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9839 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 4 દર્દીના મોત
આજે કોવિડ-19થી 4 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4306 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 3 અને સુરતમાં 1, આમ 24 કલાક દરમિયાન કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 154 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 154-ગ્રામ્યમાં 6 કેસ, સુરત શહેરમાં 119-ગ્રામ્યમાં 26 કેસ, વડોદરા શહેરમાં 106-ગ્રામ્યમાં 29 કેસ, રાજકોટ શહેરમાં 64-ગ્રામ્યમાં 22 કેસ, કચ્છમાં 28 કેસ નોંધાયા છે.