29 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 804 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. તો બીજી તરફ સાજા થવાનો દર 94 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
કોરોના વાયરસના 804 નવા કેસ નોંધાયા
કુલ આંકડો 2,43,459 પર પહોંચ્યો
આજે 999 દર્દીઓ સાજા થયા અને 7 દર્દીના મોત થયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 804 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,43,459 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.12 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,389 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 95,43,400 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં હાલ 10,021 એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 999 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,29,143 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 7 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4295 થઇ ગઇ છે. તો હાલ 10,021 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 7 દર્દીના મોત
રાજ્યમાં આજે અમદાવાદમાં 3, સુરતમાં 2, બનાસકાંઠામાં 1 અને બોટાદમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 163 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 163-ગ્રામ્યમાં 7 કેસ, સુરત શહેરમાં 120-ગ્રામ્યમાં 36 કેસ, વડોદરા શહેરમાં 101-ગ્રામ્યમાં 29 કેસ, રાજકોટ શહેરમાં 67-ગ્રામ્યમાં 24 કેસ, કચ્છમાં 23 કેસ નોંધાયા છે.