રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના કેસનો આંકડો આજે 2000ને પાર પહોંચતા ચિંતા વધી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો
24 કલાક દરમિયાન 2190 નવા કેસ
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે અને 1422 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,81,707 કોરોના મુક્ત થયાં છે. તો 6 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4479 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
છેલ્લા 5 દિવસથી કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને ગુરૂવારે 1961 કેસ અને આજે 2190 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 604 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 609 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 136 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 165 કેસ, જ્યારે ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 139 કેસ અને ગ્રામ્યમાં 25 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
જાણો આજે કેટલા લોકોનું થયું રસીકરણ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,89,217 લોકોને પ્રથમ ડોઝ અને 6,25,153 લોકોને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. આમ કુલ 47,14,370 રસીકરણના ડોઝ અપાયા છે. ગુજરાતમાં તેજ ગતિથી વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે.
નિરાધારો અને વંચિતોને આધાર કાર્ડ વિના પણ અપાશે કોરોના વેક્સિન
થોડા દિવસ અગાઉ પણ કોરોના મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને આ વેક્સિન આપવામાં આવશે. જેમાં આધાર કાર્ડ વિના પણ વેક્સિનનો લાભ લઈ શકશે. આ ઉફરાંત વંચિત અને નિરાધાર લોકોને પણ વેક્સિન મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.