રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. સોમવારે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા ચિંતા વધી હતી ત્યારે ગત 24 કલાકમાં કોરોનાના 1790 કેસ નોંધાયા છે.
1800ની નજીક પહોંચ્યો કોરોનાના કેસનો આંકડો
આજે સૌથી વધુ 1790 નવા કેસ
અમદાવાદ અને સુરતમાં હાલ બેહાલ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં 1277 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,78,880 કોરોના મુક્ત થયાં છે. તો 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4466 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
છેલ્લા 3 દિવસથી કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1640 કેસ, મંગળવારે 1730 કેસ અને આજે 1790 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ચિંતા વધી
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને આજે નોંધાયેલા કેસ એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છે. જેમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયેલા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં રાજ્યના સૌથી વધુ 480 કેસ અને ગ્રામ્યમાં 102 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 506 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 145 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 130 કેસ અને ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
ગુજરાતમાં મળ્યા કોરોનાના નવા વેરિયન્ટના 39 કેસ
રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના 39 કેસ આવ્યા છે. જીનોમ સિક્વિન્સીંગમાં ડબલ મ્યૂટેન્ટ વાયરસની હાજરી જોવા મળી છે. તો 18 રાજ્યોમાં કોરોનાના 71 નવા કોવિડ વેરિયન્ટ મળ્યા છે. પંજાબમાં 336 સેમ્પલમાં, તેલંગાણામાં 87 સેમ્પલમાં, દિલ્લીમાં 65 સેમ્પલમાં અને મહારાષ્ટ્રમાં 56 સેમ્પલમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ મળ્યા છે.