ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1101 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 1101 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં 972 દર્દીઓ થયાં સાજા
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1101 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 86,779 પર પહોંચ્યો છે.
ટેસ્ટિંગમાં સતત વધારો
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 60,808 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 17,56,133 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 69,229 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1101 કેસ જ્યારે 972 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69,229 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2897 પર પહોંચ્યો છે.