દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયું લાદવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીના પ્રથમ વખત 1515 કેસ નોંધાતા ચિંતા વધી છે.
છેલ્લા 24 કલાકમાં 1515 નવા કેસ
અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો
અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1271 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,78,786 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 13285 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13285 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,388 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,71,445 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં 373 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 354, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 211, સુરત જિલ્લામાં 51, વડોદરા શહેરમાં 125, વડોદરા જિલ્લામાં 39 , રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 48, મહેસાણામાં 53, પાટણમાં 51, ગાંધીનગર શહેરમાં 53, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કર્ફ્યુથી સૂમસાન પડ્યા રસ્તા
કોરોના વિસ્ફોટને કારણે શની-રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે પણ જો હજુ પણ લોકો ભીડ ભેગી કરશે તો કોરોના હજુ વકરવાની વકી છે ત્યારે અમદાવાદ સહીતના ગુજરાતના તમામ શહેરોએ ચેતવાની જરૂર છે અને જરૂર સિવાય ભીડ ભેગી કરી કોરોનાને ફેલાવવા મોકળુ મેદાન આપવા કરતા સ્વંભૂ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે તો અને તો જ કોરોનાને નાથી શકાશે.