મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે.
24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત
283 નવા કોરોનાના કેસ નોંધાયા
આજે 264 દર્દીઓ સાજા થયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 283 નવા કેસ સામે આવ્યા છે. આજે 264 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 1690 એક્ટિવ કેસ છે. જેમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાથી સાજા થવાનો દર 97.72 ટકા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.72 ટકા થયો છે. 24 કલાકમાં પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4405 છે. અમદાવાદ શહેરમાં આજે 66 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી છે. હાલ ચૂંટણીનો માહોલ છે અને પાડોશી રાજ્યોમાં કોરોનાનું સંકટ વધ્યું છે તેથી ગુજરાતને પણ સચેત થઇ જવાની જરરૂ છે.
8 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
અત્યાર સુધીમાં કુલ 8,12,547 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 55,409 વ્યક્તિઓના બીઝા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
કોરોનાની નવી પેટર્નને લઈ ડો.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
થોડા દિવસ અગાઉ ડો.વસંત પટેલે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડો.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે, લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ શહેરમાં 66-ગ્રામ્યમાં 2, વડોદરા શહેરમાં 57-ગ્રામ્યમાં 8, સુરત શહેરમાં 46-ગ્રામ્યમાં 1, રાજકોટમાં 16-ગ્રામ્યમાં 6 અને કચ્છમાં 11 કોરોનાના કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં અઠવાડિયાનું લૉકડાઉન
મહારાષ્ટ્રમાં મુંબઈની સાથે પુણે અને અમરાવતી જેવા જિલ્લાઓમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને રાજ્ય સરકાર જાગૃત થઇ છે અને કડક નિર્ણય લેતા અમરાવતીમાં લોકડાઉનનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પુણેમાં શનિવારે 849 અને અમરાવતીમાં 727 કેસ નોંધાયા હતા. કેબિનેટ મંત્રી યશોમતિ ઠાકુરે અમરાવતી જિલ્લામાં 1 અઠવાડિયાનું લોકડાઉનનું એલાન કર્યું છે.
પુણેમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત
કોરોનાના વધી રહેલા કેસને પગલે પુણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધીઓને મંજૂરી મળશે નહીં. આ સિવાય સ્કૂલ, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાનો 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
મુંબઈમાં 1 હજાર 305 ઈમારતો સીલ
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાને રોકવા માટે કડક નિર્ણયો કર્યા છે. મુંબઈમાં 1 હજાર 305 ઈમારતો સીલ કરવામાં આવી છે. સીલ કરાયેલી ઈમારતોમાંથી 2 હજાર 749 નવા કેસ મળી આવ્યા છે. ઈમારતોમાં 71 હજાર 838 લોકો વસવાટ કરે છે. મુંબઈ સિવાય પણ રાજ્યના અનેક શહેરોમાં કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.