18 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 1075 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર વધ્યો છે.
24 કલાકમાં 1075 નવા કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 2,33,263 કેસ નોંધાયા
રિકવરી રેટ 92.88 ટકા પર પહોંચ્યો
પ્રેસનોટ અનુસાર, આજે 1075 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,33,263 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.88 ટકા છે. રાજ્યમાં આજે 54,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 89,44,722 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. તો ડાંગ, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1155 આજે સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,16,683 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 8 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4211 થઇ ગઇ છે. તો હાલ 12,449 એક્ટિવ કેસ છે. જેમાંથી 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં સૌથી વધુ મોતનો સિલસિલો યથાવત્
રાજ્યમાં આજે અમદાવાદમાં 4, સુરતમાં 3 અને રાજકોટ 1 તથા વડોદરામાં 1 મોત સાથે કુલ 9 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 221-ગ્રામ્યમાં 11 કેસ, સુરત શહેરમાં 139-ગ્રામ્યમાં 34 કેસ, વડોદરા શહેરમાં 103-ગ્રામ્યમાં 41 કેસ, રાજકોટ શહેરમાં 86-ગ્રામ્યમાં 36 કેસ અને મહેસાણામાં 33 કેસ નોંધાયા છે.