કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
24 કલાકમાં 890 નવા કેસ સાથે 594 દર્દીઓ થયાં સાજા
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 890 નવા દર્દી જ્યારે 594 દર્દીઓ સાજા થયાં છે. આજે સુરતમાં એક દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4717 એક્ટિવ કેસ છે. તો હાલ 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.72 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4425 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 240 કેસ અને ગ્રામ્યમાં 22 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 205 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 76 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 79 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે.
20,69,918 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20,69,918 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,15,842 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજમાં ઘાટલોડિયા, નવરંગપુરામાં ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.