ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 778 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 37,636 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં સતત ચોથા દિવસે 700થી વધુ કોરોનાના કેસ નોંધાયા
કુલ દર્દીઓનો આંકડો 37,636 પર પહોંચ્યો
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 421 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 26,744 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,979 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત ચોથા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ અને આજે 778 કેસ નોંધાયા હતા.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 249 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 204 અને સુરત જિલ્લામાં 45 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,458 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 172 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,262 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 124 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,079 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1498 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3675 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત