ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 712 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 35,398 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 21 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,927 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
પ્રથમ વખત ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 712 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 253 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 અને સુરત જિલ્લામાં 52 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,487 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે પ્રથમ વખત એકસાથે કોરોનાના આટલા બધા કેસ નોંધાયા છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 165 અને અમદાવાદ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,715 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 228 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,509 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1475 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3731 એક્ટિવ કેસ છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત