સુરતના સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે મેહુલ બોઘરા પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે.
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલાનો મામલો
મેહુલ બોઘરા પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટનો સ્ટે
હાઇકોર્ટે નોંધ્યું કે, 'મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે'
હાઇકોર્ટે સરથાણા પોલીસ પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આથી આ મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, 'મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.'
પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો
અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો.
તાજેતરમાં જ આ કેસમાં 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવાયા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા.
સુરતમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વકીલોએ કાઢી હતી રેલી
સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાને લઈને વકીલ આલમમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. ત્યારે થોડા દિવસ અગાઉ સુરતમાં વકીલો દ્વારા કોર્ટ સંકુલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. જેમાં વકીલોએ બેનર અને પ્લેકાર્ડ સાથે રેલી સૂત્રોચ્ચાર કર્યા હતા. આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.