4 વર્ષ પહેલા થયેલા ઉના દલિત કાંડના મુખ્ય આરોપીના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે.
ઉનામાં દલિતોને ફટકારવા મુદ્દે આ ઘટનાની દેશભરમાં ભારે ટીકા થઇ હતી. હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નાગજીભાઈ વાણિયાના 10,000 રૂપિયાના બોન્ડના જામીન મંજૂર કરતા નોંધ્યું હતું કે આરોપીને જેટલા વર્ષની કેદ થઇ શકે તેટલા વર્ષ તેણે અત્યાર સુધી જેલમાં ભોગવી લીધા હોવાને પગલે તેના જામીન મંજૂર કરવામાં આવે છે. વાણિયા જુલાઈ 2016થી જેલમાં કેદ હતો.
શું હતો મામલો?
વાણિયા સહિતના 6 લોકો સામે ઉનાકાંડમાં FIR નોંધાઈ હતી. 11 જુલાઈ 2016ના રોજ દલિત સમાજમાં 7 સભ્યોને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા અને તેમને બજાર વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. તેમની ઉપર ગૌ હત્યાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો.
વાણિયા સહિત 16 લોકોની પોલીસે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક ધરપકડ કરી હતી. વાણિયાએ 2017માં હાઇકોર્ટમાં જામીન માંગ્યા હતા પણ તેની અરજી ટ્રાયલ કોર્ટે રિજેક્ટ કરી હતી.
ત્યાર બાદ તેણે ફરી 2018માં અરજી કરી હતી જે 2 વર્ષ સુધી લંબાઈ હતી. હવે તેની અરજી મંજૂર થતા આ કેસના પીડિત વશરામભાઈ સરવૈયાએ તેનો વિરોધ નોંધાવ્યો છે. જો કે વડી અદાલતનું કહેવું છે કે વાણિયાએ ચાર વર્ષ જેટલો સમય પહેલેથી જ જેલમાં વિતાવી દીધો છે.