GSTના સમરી રિટર્ન જીએસટીઆર-3બી અને વેચાણના રિટર્ન જીએસટીઆર-1ના ડેટામાં તફાવત હોવાથી વિભાગ દ્વારા રાજ્યના લગભગ 37,000 જેટલા કરદાતાઓને નોટિસ મોકલી
GST રિટર્નમાં મિસમેચના પગલે 37 હજાર લોકોને નોટિસ
ડેટામાં તફાવત હોવાના કારણે મોકલવામાં આવી નોટિસ
જીએસટીઆર-3બી રિટર્ન રિવાઇઝની છૂટ ન મળતા સમસ્યા રહેશેઃ નિષ્ણાત
GSTના રિટર્નમાં મિસમેચના પગલે રાજ્યના લગભગ 37,000 જેટલા કરદાતાઓને વિભાગે નોટિસ મોકલી છે. GSTના સમરી રિટર્ન જીએસટીઆર-3બી અને વેચાણના રિટર્ન જીએસટીઆર-1ના ડેટામાં તફાવત હોવાથી વિભાગ દ્વારા નોટિસો મોકલવામાં આવી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા મુજબ જીએસટીઆર-3બી અને જીએસટીઆર-2એ રિટર્નમાં મિસમેચ મુદ્દે પણ નોટિસો આપવામાં આવી રહી છે. જોકે, નિષ્ણાતો જણાવે છે કે સરકારે જીએસટીઆર-3બી રિટર્ન રિવાઇઝ કરવાની છૂટ નથી આપી તેના કારણે આ કાયમી સમસ્યા રહેવાનો ડર છે. તમામ રિટર્ન રિવાઇઝ કરવા શક્ય છે. પરંતુ જીએસટીઆર-3બીમાં સુધારો કરવો શક્ય નથી તેના કારણે કરદાતાઓએ પરેશાનીનો સામનો કરવો પડે છે અને વિભાગ માટે પણ કાર્યભાર વધી રહ્યો છે.
મહત્વનું છે કે, GSTના અમલીકરણને ચાર વર્ષનો સમય થયો છે. ત્યારે GST કૌભાંડમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના કિસ્સા સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને આ ચાર વર્ષના સમયમાં ગુજરાતમાં GSTમાં કરોડોની કરચોરી કરાઇ છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચાર વર્ષમાં 2500 કરોડની કરચોરી કરવામાં આવી છે.
રાજ્યમાં અનેક કૌભાંડીઓએ ગરીબોના નામે બોગસ પેઢીઓ બનાવીને તેના દ્વારા બોગસ બિલિંગના કૌભાંડ આચર્યા હતાં. રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી કૌભાંડના કુલ 705 જેટલા કેસ સામે આવ્યા છે. અને સ્ટેટ જીએસટી વિભાગે આ કૌભાંડોમાં 65 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જીએસટી અમલના ચાર વર્ષ બાદ પણ હજુ કરદાતાઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.