ગુજરાતમાં રમખાણો દરમિયાન ગેંગરેપની પીડિતા બિલ્કીસ બાનો દ્વારા કોર્ટમાં કરાયેલ અવમાનનાની અરજી ( contempt plea ) નો આજે ગુજરાત સરકારે વિરોધ કર્યો છે.
બિલ્કીસ બાનોની અરજીનો ગુજરાત સરકારે કર્યો વિરોધ
સરકારે કહ્યું અમે કોર્ટના આદેશનું પાલન કર્યું છે
કોર્ટે સરકારને બિલ્કીસ બાનોને 50 લાખ વળતર, આવાસ અને નોકરી આપવા આદેશ કર્યો હતો
બિલ્કીસ બાનોની અરજીનો કર્યો વિરોધ
ગુજરાત સરકારે ગોધરાકાંડ દરમિયાન ગેંગરેપ પીડિતા બિલ્કીસ બાનો દ્વારા કરાયેલ કોર્ટના આદેશની અવમાનનાની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે તેણે સર્વોચ્ચ અદાલતનાં 2019ના આદેશનું પાલન કર્યું છે. અદાલતે સરકારને 50 લાખ રૂપિયા વળતર, નોકરી અને આવાસ આપવાનો આદેશ કર્યો હતો. સરકાર તરફથી સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે બિલ્કીસ બાનોને 50 લાખ અને નોકરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે બિલ્કીસ બાનો કેસ ગુજરાતનો બહુચર્ચિત કેસ છે જેમાં સુપ્રિમ કોર્ટને ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે દુષ્કર્મ પીડિતાને બે સપ્તાહની અંદર 50 લાખ રૂપિયા વળતર આપે. આ સિવાય ઘર અને નોકરી પણ આપવા આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.
શું છે બિલ્કીસ બાનો કેસ ?
બિલ્કીસ બાનો ગેંગરેપ કેસ ગુજરાત રમખાણના સમયનો કેસ છે. ગુજરાતમાં જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે તેના પરિવાર પર હુમલો થયો હતો અને તે સમયે બિલ્કીસ ગર્ભવતી હતી. નરાધમોએ બિલ્કીસ પર ગેંગરેપ કર્યો હતો. બિલ્કીસની 3 વર્ષની દીકરીને પણ મોતને ઘાટ ઉતારી દીધી.
નોંધનીય છે કે પહેલાં બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યોગ્ય વળતરની માંગણી કરી હતી. જે બાદ સરકારે પહેલા પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી જે બિલ્કીસે સ્વીકારી ન હતી બાદમાં સર્વોચ્ચ અદાલતે તેના પર આદેશ આપ્યો હતો. હાલમાં બિલ્કીસ બાનો દ્વારા કોર્ટના આદેશની અવમાનના કરવામાં આવી તેવી અરજી કરવામાં આવી હતી જેના પર ગુજરાત સરકારે જવાબ દાખલ કર્યો છે. સરકાર કહી રહી છે કે સરકારે પીડિતાને નાણા અને નોકરી આપી દીધી છે.