ધોરણ 10ના બોર્ડની પરીક્ષાઓ તો રદ્દ કરી દેવામાં આવી છે પરંતુ જુલાઇ મહિનામાં 12માં ધોરણની પરીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માગ
ધોરણ-12ના વિદ્યાર્થીઓને વેક્સિન માટે વિચારણા
1 જૂલાઇથી શરૂ થઇ રહી છે પરીક્ષા
કેસ ઘટ્યા અને અગ્નિપરીક્ષા આવી
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસના કેસ વધતાં રાજ્યમાં પરીક્ષાઓને રોકી દેવામાં આવી હતી જેમાં ધોરણ 10ના બોર્ડની પરીક્ષાઓ તો રદ્દ કરી દેવામાં આવી છે પરંતુ જુલાઇ મહિનામાં 12માં ધોરણની પરીક્ષા લેવામાં આવશે.
વાલીઓ મૂકાયા અવઢવમાં
કોરોના વાયરસના કપરા કાળમાં આ પરીક્ષાને લઈને વાલીઓ ચિંતામાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે પરીક્ષામાં સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે એક વર્ગખંડમાં 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.
સરકાર વેક્સિન આપવા કરી રહી છે વિચાર : સૂત્ર
12માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તે પહેલા તેમને વેક્સિન આપી દેવા માટે માંગ કરવામાં આવી છે. જે બાદ હવે સૂત્રો દ્વારા સામે આવ્યું છે કે સરકાર પણ વેક્સિન આપવા મામલે વિચાર કરી રહી છે.
ડેટા એનાલિસીસ અને વેક્સિન કેટલી ઉપલબ્ધ છે તેનું અવલોકન શરૂ : સૂત્ર
સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર સરકારમાં 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા મામલે વિચારણા ચાલુ છે. આટલું જ નહીં રાજ્ય સરકારે જિલ્લાઓ પાસેથી ડેટા પણ મંગાવી લીધા છે જે બાદ શિક્ષણ વિભાગ ડેટાનું એનાલિસિસ કરશે અને તે બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેની તપાસ કરીને વેક્સિન કેટલી ઉપલબ્ધ છે તેના પર વિચારણા કરવામાં આવશે.
પહેલી જુલાઇથી ચાલુ થઈ રહી છે પરીક્ષાઓ
નોંધનીય છે કે કોરોના વાયરસના કેસ ઓછા થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલી જુલાઇથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જોકે CBSEમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા દિલ્હીથી કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી.