વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર વધુ એક મહત્વનો નિર્ણય લઇ શકે છે. મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર ખેડૂતોને 30 રૂપિયાનું બોનસ આપવાનું વિચારી રહી છે.
ગુજરાત સરકાર ખેડૂતો માટે લઈ શકે છે મહત્વનો નિર્ણય
મગફળી ખરીદીમાં 30 રૂપિયા બોનસની કરી શકે છે જાહેરાત
પાક નુકસાન માટે પણ રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરી શકે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાત સરકાર જનતાના હિતમાં એકબાદ એક વધુ નિર્ણયો લઇ શકે છે. કારણ કે ગઇકાલે જ રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રાજ્ય સરકારે વર્ષમાં 2 વખત મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે, ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લઇ શકે છે.
મગફળી ખરીદીમાં એક મણ પર 30 રૂ. નું બોનસ આપવાની વિચારણા
રાજ્ય સરકાર મગફળી ખરીદીમાં ખેડૂતો માટે બોનસની જાહેરાત કરી શકે છે. ખેડૂતો માટે રાજ્ય સરકાર 30 રૂપિયા બોનસની જાહેરાત કરી શકે છે. મગફળી ખરીદીમાં એક મણ પર રાજ્ય સરકારની ખેડૂતોને 30 રૂપિયાનું બોનસ આપવાની વિચારણા ચાલી રહી હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
પાક નુકસાન માટે રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરી શકે
વધુમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકાર ખેડૂતો માટેનું સહાય પેકેજ જાહેર કરી શકે છે. અતિવૃષ્ટીમાં થયેલા નુકસાનના વળતર પેટે ખેડૂતોને રૂ. 600 કરોડથી વધુનું પેકેજ રાજ્ય સરકાર પૂરું પાડશે. તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓની માટે સરકાર રૂ. 600 કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે.
11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા મુજબ ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરશે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયું છે. તો તેના માટેની તો સર્વેની કામગીરી પણ ચાલી રહી હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. આથી રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારે પણ આજે ખેડૂતોને દિવાળી પહેલા આપી મોટી ભેટ
વધુમાં આજે કેન્દ્ર સરકારે પણ ખેડૂતોને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ઘઉં, મસૂર, જવ અને ચણા સહિત અન્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
ગઇકાલે પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો કેન્દ્ર સરકારે જાહેર કર્યો
તદુપરાંત ગઇકાલે પણ દેશમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો કેન્દ્ર સરકારે જાહેર કર્યો હતો. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.