તાજેતરના બજેટસત્ર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા પ્રોફેશનલ ટેક્સના પીઇસી એટલે કે પ્રોફેશન એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ ધરાવતા ધંધાદારી કરદાતાઓને ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજમાં માફી આપવાની જાહેરાત કરાઇ હતી, જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા પ્રોફેશન ટેકસના પીઇસી કરદાતાઓને ૩૧ ઓગસ્ટ, ર૦૧૯ સુધી વ્યાજ માફી આપવાની દિશામાં કવાયત આરંભાઇ છે.
શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧ એપ્રિલ, ર૦૦૮થી મ્યુનિ. કોર્પોરેશનના પ્રોફેશનલ ટેકસ વસૂલ કરવાની સત્તા અપાઇ છે. તંત્રને આ સત્તા મળ્યા બાદ પ્રોફેશનલ ટેક્સ કરદાતાઓની નોંધણી અને તેની આવકમાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે અને ગત તા.૩૦ જૂન, ર૦૧૯ની સ્થિતિએ મ્યુનિ. કોર્પો.ના ચોપડે કુલ ૩.૮૭ લાખથી વધુ કરદાતા નોંધાયા છે.
કર્મચારીઓના પગાર અને વેતનને લગતા પીઆરસી એટલે કે પ્રોફેશન રિજસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવતા કુલ ૩પ,૩૯૩ કરદાતાઓ અને સંસ્થા તેમજ પેઢીને લાગુ પડતા પીઇસી એટલે કે પ્રોફેશનલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ ધરાવતા કુલ ૩,પર,૦૮૦ કરદાતા છે.
હવે આ પીઇસી કરદાતાઓને ગત તા.૧ જૂન, ર૦૧૯થી તા.૩૧-૮-ર૦૧૯ સુધીના સમયમાં પ્રોફેશનલ ટેક્સ ભરપાઇના વિલંબના મામલે લેવાતા વાર્ષિક ૧૮ ટકા વ્યાજમાંથી મુક્તિ મળશે. તમામ પ્રોફેશનલ ટેકસના કરદાતાઓએ દર વર્ષની ૩૦ સપ્ટે. સુધીમાં પ્રોફેશનલ ટેક્સની ભરપાઇ કરવાની હોય છે.
ત્યારબાદ માસિક ૧.પ ટકા પ્રમાણે વાર્ષિક ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજનું મીટર ફરવા લાગે છે. દર વર્ષે રૂ.૧૦ લાખ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતા પીઇસી કરદાતાએ મહત્તમ રૂ. ર૪૦૦નો પ્રોફેશનલ ટેકસ ભરવાનો હોય છે, જોકે હવે રાજ્ય સરકારની નવી નીતિથી વ્યાજમાં માફી મળશે.