બિપોરજોય વાવાઝોડાને લઈ વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાનાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ગુજરાતનાં ચાર કેન્દ્રીય મંત્રીઓને પ્રભાવિત જીલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. જેઓ પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
વાવાઝોડાને પગલે ચાર કેન્દ્રીય મંત્રીઓને સોંપાઈ મહત્વની જવાબદારી
ગત રોજ વરીષ્ઠ મંત્રીઓને જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી
બિપોરજોય વાવાઝોડું આગાહીનાં પગલે દરિયા કિનારાનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બિપોરઝોડ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર છે. અને 15 જૂને કચ્છનાં માંડવી અને પાકિસ્તાનનાં કરાંચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતનાં ચાર કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, દર્શનાં જરદોષ તેમજ મહેન્દ્ર મુંજપરાને પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
ગત રોજ વરીષ્ઠ મંત્રીઓને જીલ્લાઓની જવાબદારી સોંપાઈ હતી
ગત રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, અને પ્રફુલભાઇ પાનશેરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લગાવાયા
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર પહોંચી ગયું છે. તે 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ હોઈ હાલમાં પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદ શરૂ થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો
ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરુ થયો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે. દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગીરમાં ખેડૂતોએ મગફળીના વાવેતર માટે તૈયારીઓ કરી છે.