રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષણને નામે અલગ-અલગ કાર્યક્રમોની સંખ્યા વધારે હશે. જો કે તેમ છતાં બાળકોનું શિક્ષણસ્તર સુધરવાને બદલે બગડી રહ્યું છે. બીજી ભાષા અને વિજ્ઞાન, ગણિતની ક્યાં વાત કરો છો. રાજ્યનાં વિદ્યાર્થીઓને માતૃભાષા એવી ગુજરાતી જ વાંચવામાં તકલીફ પડી રહી છે. પ્રાથમિક શાળામાં કાચો રહી ગયેલો પાયો 10 ધોરણમાં ફજેતી છતી કરે છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી શાળા તરફ જવાનો ઝોક વિદ્યાર્થીઓમાં વધી રહ્યો છે. એક તરફ સરકાર ડિજિટલ ક્લાસરૂમ અને ટચસ્ક્રીન બ્લેકબોર્ડ દ્વારા શિક્ષણ આપવાના સપના જોઈ રહી છે. તો બીજી તરફ દર વર્ષે `ઠોઠ વિદ્યાર્થીઓ'ની સંખ્યા વધી રહી છે. ગુણોત્સવો (Gunotsav) અને મિશનવિદ્યા (mission vidhya) દ્વારા ખાડે ગયેલા શિક્ષણને પાટે ચડાવવા જહેમત આદરાઈ છે પરંતુ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. ત્યારે જોઈએ આ નામ બદલીને ચિત્ર બદલવાની સરકારની કેવી છે કવાયત તે આ અહેવાલમાં.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષણને નામે અલગ-અલગ કાર્યક્રમોની સંખ્યા વધારે હશે. જો કે તેમ છતાં બાળકોનું શિક્ષણસ્તર સુધરવાને બદલે બગડી રહ્યું છે. બીજી ભાષા અને વિજ્ઞાન, ગણિતની ક્યાં વાત કરો છો. રાજ્યનાં વિદ્યાર્થીઓને માતૃભાષા એવી ગુજરાતી જ વાંચવામાં તકલીફ પડી રહી છે. પ્રાથમિક શાળામાં કાચો રહી ગયેલો પાયો 10 ધોરણમાં ફજેતી છતી કરે છે.
વીતેલા વર્ષોનાં પરિણામના આંકડામાં એ સ્પષ્ટ જણાય છે કે ધો-10માં સૌથી વધારે નાપાસ થવાનું પ્રમાણ ગુજરાતી ભાષામાં હતું. એક તરફ સરકાર ડિજિટલ વર્ગોમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપવાની વાતો કરે છે પરંતુ પ્રાથમિક શાળાનાં ધોરણ પાંચથી આઠમા ભણતા બાળકો હજુ વાંચન અને ગણનમાં જ ગોથા ખાય છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્વ, એકમ કસોટીઓ, પ્રજ્ઞા ક્લાસરૂમ ન જાણે કેટ કેટલાં કાર્યક્રમો ચાલે છે છતાં એનું પરિણામ નથી મળતું ત્યારે સવાલ થાય છે કે, શું સાચી શિક્ષણ પદ્ધતિનાં નામે આખો કાર્યક્રમ જ ક્યાંક ભટકી ગયો છે?
શું જવાબદાર શિક્ષકો કે અધિકારીઓ પોતાની નિષ્ઠા ચૂક્યા છે? શું સરકાર આંકડાઓ જાણીને સંતોષ માની બેઠી છે? શું સરકારનાં નીતિ નિર્ધારકો એવું માની રહ્યાં છે કે નામ બદલવાથી પરિસ્થિતિ સુધરી જશે? કદાચ એટલે જ તેમણે હવે ઠોઠ વિદ્યાર્થીઓને `પ્રિય વિદ્યાર્થીઓ' એવું નામ આપ્યું છે. તેઓ હવે નબળા બાળકોમાં આત્મવિશ્વાસ અને મનોબળ ભરવા કમર કસી રહ્યાં છે અને વિશેષ ધ્યાન આપવા તૈયાર થયા છે.
મહેસાણા જિલ્લાની વાત કરીએ તો કુલ 1008 પ્રાથમિક શાળાઓમાં કુલ એક લાખ એકાણું હજાર એક સો ચોપન (1,91,154) બાળકો અભ્યાસ કરે છે, જેમાં ધોરણ 6,7 અને 8માં અભ્યાસ કરતા ચોર્યાસી હજાર નવસો ચોવીસ (84,924) જેટલા બાળકો વાંચન, લેખન અને ગણનમાં ઠોઠ હોવાના આંકડા સામે આવ્યાં છે. ઠોઠ નિશાળિયા એવા પ્રિય બાળકોની વિષય વાઈઝ નબળાઈની વાત કરીયે તો ધોરણ છથી આઠમાં વાંચનમાં સતર હજાર બસો અઠાણું (17298) બાળકો નબળાં છે. તો લેખનમાં (21302) એકવીસ હજાર ત્રણસોબે બાળકો નબળા નોંધાયા છે અને ગણનક્ષમતાની વાત કરીએ તો (22296)બાવીસ હજાર બસો છન્નું બાળકો નબળા નોંધાયા છે. બાળકોમાં શીખવામાં રહી ગયેલી આ ઉણપ માટે કોણ છે જવાબદાર?
રાજ્ય સરકારની પ્રાથિમક શાળાઓમાં શિક્ષણમાં સુધારો લાવવાનો પ્રયાસ ચોક્કસ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને સરળ પધ્ધતિથી શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે તેમ છતાં આ કવાયતનાં ફળ બાળકોમાં કેમ ઉગતાં નથીતે મુંઝવતો સવાલ છે. પ્રાથમિક શાળાનાં કુલ વિદ્યાર્થીઓનાં 44 ટકા વિદ્યાર્થીઓ આજે પણ ઠોઠ હોવાનું ખુદ સરકારને સ્વીકારવું પડે તે વાત જ આંચકાજનક છે. ત્યારે હવે મિશન વિદ્યામાં ઠોઠ ગણાતા પ્રિય બાળકોમાં શિક્ષણનો સંપૂર્ણ સંચાર ક્યારે થશે તે જોવું રહ્યું.