ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબ પરિવારોને તકલીફ ન પડે તે માટે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને ત્રણ મહિના માટે અનાજ મફત આપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે, એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ મળે તે માટે માંગ કરી હતી. જેને લઇને એપીએલ-1 કાર્ડ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીપીએલ, અંત્યોદય કુટુંબને પુરવઠો વિતરણ કરવામાં આવ્યો
રાજ્યના કોઇ પણ પરિવારને અનાજની નહીં પડે
એપીએલ-1 કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો આપવામાં આવશે
કોરોના પર સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે 8 લાખ અંત્યોદય કુટુંબને પુરવઠો વિતરણ કરવામાં આવ્યો છે. રાજ્યના કોઇ પણ પરિવારને અનાજની તકલીફ નહીં પડે. 3 લાખ 40 હજાર બીપીએલ કુટુંબને પુરવઠો આપવામાં આવ્યો છે. જ્યારે હવે 60 લાખ પરિવારને અનાજનો પુરવઠો આપવામાં આવશે. બીપીએલ, અન્ન બ્રહ્મ યોજના સિવાય હવે એપીએલ-1ના ગ્રાહકોને પણ વિના મૂલ્યે અનાજ મળશે. જોકે તેનાવિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે.
જેમાં રાજ્યમાં બાકી રહેતા 60 લાખ જેટલા એપીએલ-1ના ગ્રાહકો જેમનો NSFA (નેશનલ ફૂડ સેફટી એક્ટ) હેઠળ સમાવેશ કરવામાં આવેલ નથી તેમને પણ વિના મૂલ્યે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એપ્રિલ માસ પુરતો એપીએલ-1ના ગ્રાહકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ વિના મૂલ્યે આપવામાં આવશે. સરકારના આ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કરી છે.
ધારાસભ્યના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મુકાયો
તો સાથે જ કહ્યું કે ધારાસભ્યના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. ધારાસભ્યની ગ્રાન્ટ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ધારાસભ્યની ગ્રાન્ટ આકસ્મિક ભંડોળમાં જમા કરવામાં આવશે. જેથી 273 કરોડ રકમ આકસ્મિક ભંડોળમાં જમા કરવામાં આવશે.
GST કાયદામાં પણ સુધારો કરવામાં આવશે
તો જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ) કાયદામાં પણ સુધારો કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં સ્ટેટ જીએસટી સુધારા વિશે ચર્ચા થઈ છે. આગામી સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.