બેરોજગાર યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવી છે. રાજ્ય સરકાર રોજગારી આપવામાં ઉણી ઉતરી રહી હોવાના આક્ષેપો લાગતા રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપોનો નક્કર જવાબ આપ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણ વર્ષમાં 60 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જ્યારે આ વર્ષમાં 16,500 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ મળી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે 37,535 અને પછીના બે વર્ષમાં 11,600 અને 11,300 જગ્યા ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા 1,53,000થી વધુની ભરતીનું આયોજન 10 વર્ષમાં કરવાનું ભરતી કેલેન્ડર બનાવીને ભરતી હાથ ધરવામાં આવશે.
વધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે, નવી મંજૂર થયેલી જગ્યાઓ અને કોઇ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જે જગ્યાઓ પાછળના વર્ષમાં ભરવાનું આયોજન હતું તે આગામી વર્ષમાં ભરવા માટે ફ્રન્ટ લોડિંગ અર્થે રચવામાં આવેલી સ્થાયી સમિતિની મંજૂરી પણ આપવામાં આવી છે.
આ રીતે છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેચર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ 15થી વધુ સેવાઓ માટે 16,500 જગ્યાઓની ભરતી માટે મંજૂરી પણ આપવામાં આવી છે.