ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અનેક જાહેરાતો કરી હતી અને ખેડૂતોને પાણીની સમસ્યા મામલે પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં સીઝનનો સરેરાશથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે પાણી મળે તે માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ પાણી આપ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે પાણીનો જીવંત જથ્થો 39 ટકા પાણી છે. ખેડૂતોના પાક બચાવવા સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગઇકાલ રજાના દિવસે પણ CMએ બેઠક બોલાવી હતી. જેમાં હું સિંચાઇ મંત્રી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગઇકાલની બેઠકમાં નર્મદાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા થઇ હતી તેમ તેમણે જણાવ્યું હતું.
મહત્વનું છે કે નીતિન પટેલે પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડાની શક્યતાઓ નકારી હતી. જ્યારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની જાહેરાત તેમણે કરી હતી.