રાજ્યમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઇ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ફાટકમુક્ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં આગળ ધપતા રાજ્ય સરકારે 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે અંડરબ્રિજ માટે રૂ. 757.37 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
રાજ્યની 20 ન.પા.માં બનશે રેલવે ઓવરબ્રિજ
16 રેલવે ઓવરબ્રિજનું થશે નિર્માણ
10 રેલવે અંડરબ્રિજ બનાવાશે
સરકારે રાજ્યની નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. 16 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરબ્રિજ માટે રાજ્ય સરકારે 757 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. રાજ્યની ઓખા, પાલીતાણા, પાટણ, તલોદ, વિસનગર અને કરમસદમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તો ઉમરેઠ, બારડોલી, વેરાવળ, હિંમતનગર, આણંદ અને પેટલાદમાં 2-2 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જ્યારે ગાંધીધામમાં 2 રેલવે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. સિક્કા, નડિયાદ, બોપલ ઘુમા, ઉના, કેશોદ, ડીસા, પેટલાદ અને વ્યારામાં પણ અંડરબ્રિજ બનશે.
ત્રણ મહાનગરપાલિકા માટે 54 કરોડના કામોને મંજુરી
મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર અને ભચાઉ નગર માટે અને જુનાગઢ મહાનગરપાલિકા માટે પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત આગવી ઓળખના રૂ. 54.51 કરોડના કામોને મંજૂરી આપી છે.
સુરેન્દ્રનગરમાં ફ્લાય ઓવર માટે મંજુરી
સુરેન્દ્રનગરમાં મેકશન સર્કલ ડેમ રોડથી હેલીપેડ સુધી નવા ફલાય ઓવર બનાવવા માટે રૂ. 42.50 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર ગેઇટ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશન વચ્ચે સબ-વે બનાવવા માટે રૂ. 6.53 કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં ડેવલપીંગ એન્ટ્રી ઓફ ભચાઉ ટોવડર્ઝ ભૂજ એઝ ગેટ વે ઓફ કચ્છના આગવી ઓળખના કામ માટે રૂ. 2.86 કરોડની મંજૂરી જ્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં આવેલા સ્વીમીંગ પુલના નવીનીકરણ માટે રૂ. 2.62 કરોડના આગવી ઓળખના કામને પણ મંજૂરી આપી છે.