આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જંત્રી દરને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.
રાજ્યમાં હજુ ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન
નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશેઃ ઋષિકેશ પટેલ
આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી છે. તેમણે જંત્રીને લઈને જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.
જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરાશેઃ ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે.
રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. તેમજ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવામાં આવ્યો છે.
જુઓ પરિપત્ર..
જંત્રી એટલે શું?
જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે. કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ?
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે. ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે, ફ્લેટ. પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય તો જંત્રી રેટ ઉંચો હોય છે. હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે