ગુજરાત સરકારે પોતાના અગાઉનાં આદેશ બાદ હવે નવો નિર્ણય કર્યો છે કે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ મદદ આપવામાં આવશે
કોરોનાકાળમાં વાલી ગુમાવનારને સહાય
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સૂચના
બાળકોને 2 હજારની મળશે મહિને સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
કોરોના વાયરસ મહામારી વિશ્વભરમાં વધી રહી છે અને આ મહામારીનાં કારણે દેશ દુનિયાનાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસ મહામારીનાં કારણે દુનિયાનાં હજારો બાળકો માતા પિતા વિના અનાથ થઈ ગયા છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘરે ઘરે યમ બનીને તૂટી પડી અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવતાં ઘણા બધા બાળકો નોધારા થઈ ગયા છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા એવા બાળકોની સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.
એક વાલી ગુમાવનાર બાળકોને પણ મળશે સહાય
ગુજરાત સરકારે પોતાના અગાઉનાં આદેશ બાદ હવે નવો નિર્ણય કર્યો છે કે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર બાળકોને મુખ્ય મંત્રી બાળ સેવા યોજના હેઠળ મદદ આપવામાં આવશે. એક વાલી ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આવા બાળકોને દર મહિને બે હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. આ રકમ આગામી બીજી ઓગસ્ટે સીએમ રૂપાણી લોન્ચ કરશે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગનો તમામ કલેક્ટરોને આદેશ
રાજ્ય સરકારે નિર્ણય લેતા હવે તમામ કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યા છે. બાળકોને સીધા જ બૅન્ક ખાતામાં પણ નાણાં મળી રહે તે માટે આગામી ત્રણ દિવસમાં આવા લાભાર્થી બાળકોનાં ખાતા ખોલવા આદેશ આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર યોજના
નોંધનીય છે કે કોરોના વાયરસ મહામારી સામે મદદ માટે થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા આ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જે હેઠળ માતા અને પિતા બંનેને ગુમાવી દેનાર અનાથ બાળકોને 18 વર્ષની ઉંમર સુધી ચાર હજાર રૂપિયાની મદદની સહાય આપવામાં આવશે તથા અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે. આ સિવાય આવા બાળકોને વિદેશમાં અભ્યાસ માટેની લોનમાં પણ મદદ કરવાની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.