અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે. જોકે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે લાગુ કરાયું છે. જેના વિરોધમાં શિક્ષકો મેદાનમાં આવ્યા છે. ત્યારે હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક અભિયાન શરુ કર્યુ છે.
શિક્ષકોની માગ છે કે, તેમને પણ પહેલાની જેમ 4200 રૂપિયા જ ગ્રેડ પે મળવો જોઈએ
શિક્ષકોએ DyCM નીતિન પટેલને ટપાલ લખવાનું શરૂ કર્યુ
'તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક' ના ઉલ્લેખથી લખાણ
સરકારના એક નિર્ણયથી રાજ્યના 65 હજારથી વધુ શિક્ષકો અસર પડશે. શિક્ષકોને મળતા ગ્રેડ પેમાં સરકારે 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકોનો ઉચ્ચતમ પગાર ધોરણ કર્યો છે. આ માટે સરકારે 2019માં પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. પરંતુ સરકારના પરિપત્રનું અમલિકરણ થતા જ હવે શિક્ષકો મેદાનમાં આવ્યા છે. શિક્ષકો સરકાર નિર્ણય સામે આંદોલનના મૂડમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે શિક્ષકોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટપાલ લખવાનું શરૂ કર્યું છે. જેમાં 4200 ગ્રેડ પેની માગણી સાથે નાયબ મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે. 'તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક'ના ઉલ્લેખથી ટપાલમાં લખાણ કર્યું છે. શિક્ષકોએ માસ્ક પહેરીને વિરોધ નોંધાવ્યો છે.
શું છે શિક્ષકોની માગ?
સરકારના આ નિર્ણય સામે વિરોધ કેમ? તો આપને જણાવી દઈએ કે, 1994થી પ્રાથમિક શિક્ષકોને નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર બહાર પાડયો કે, હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતમ પગાર ધોરણ તરીકે 2800 ગ્રેડ પે જ મળશે. એટલે 2010 પછી ભરતી થયેલા 65 હજાર શિક્ષકો પર તેની સિધિ અસર પડશે. તેવામાં શિક્ષકોએ 2800 નહીં પરંતુ પહેલાની જેમ 4200 ગ્રેડ પે માટે માગ કરી છે.
શિક્ષકો સાથે કયાં સુધી કરતા રહેશો અન્યાય?
અહીં શિક્ષકોએ સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા છે કે, જે 4200 ગ્રેડ પે હતો તેને 2800 કેમ કરી દેવાયો? શિક્ષકો સાથે કયાં સુધી કરતા રહેશો અન્યાય? કેમ રાતો-રાત પરિપત્ર બહાર પાડયો? કેમ અન્ય વિભાગોમાં ગ્રેડ પે ન ઘટાડાયો? ગ્રેડ પે સિસ્ટમમાં ફેરફાર કરવાથી શિક્ષકોને આર્થિક ફટકો પડશે તેનો કેમ વિચાર ન આવ્યો? 65 હજાર શિક્ષકોના પરિવાર સાથે અન્યાય શા માટે? હાલ શિક્ષકોએ સરકારના આ પરિપત્રના વિરોધમાં #4200GUJARATથી કેમ્પેઈન પણ શરૂ કર્યું છે. કારણ કે, શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ નથી મળ્યું. ત્યારે હવે આ ન્યાય સામે ન્યાય મેળવવા આંદોલનના માર્ગે શિક્ષકો આગળ વધ્યા છે. હાલ તો શિક્ષકોએ DyCM નીતિન પટેલને ટપાલ લખવાનું શરૂ કર્યુ છે.