અમદાવાદ સહિત ગુજરાતમાં ધોરણ-૧ થી ધોરણ-૯ તેમજ ધોરણ-૧૧માં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોના વાઈરસની મહામારીના કારણે રાજ્ય સરકારે ઉપરોકત ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ઉપરના ધોરણમાં ચઢાવવાનો નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ધોરણ-1થી9 તથા 11ના વિદ્યાર્થીઓને વ્હોટસેપ પર મોકલાશે પરિણામ
પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-૧ થી ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેનું પરિણામ હવે સોમવારથી આપવાનું ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.
વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું
અત્રે ઉલ્લેખનીય છે કે આ ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવી નથી પરંતુ તેમને ઉપરના ધોરણમાં એટલે કે ધોરણ-૧ થી ધોરણ-૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા વિના સીધા ધોરણ-૧૨માં દાખલ થયા છે.
જે તે વિષયમાં ૩૩ ટકા માર્ક મેળવનાર વિદ્યાર્થી પાસ જાહેર થશે
પરિણામ પત્રક સત્રની પ્રથમ પરીક્ષાના ૫૦ ટકા માર્ક અને આંતરિક ગુણ ૨૦ માર્ક એમ કુલ ૧૨૦ માર્કની પરીક્ષા યોજાયેલ હતી. તેને ૧૦૦ ગુણમાં રૂપાંતરિત કરીને તૈયાર કરવામાં આવ્યું છે. જે તે વિષયમાં ૩૩ ટકા માર્ક મેળવનાર વિદ્યાર્થી પાસ જાહેર થશે. જે વિદ્યાર્થીના ૩૩ ટકા થી ઓછા માર્ક હશે તેને ઈ ગ્રેડ અપાશે અને ત્યારબાદ કૃપા ગુણ કે સિદ્ધિ ગુણ આપીને વિદ્યાર્થીને ખૂટતા માર્ક ઉમેરીને પાસ જાહેર કરાયા છે.
સિદ્ધિ ગુણ કે કૃપા ગુણ ઉલ્લેખ કુલ ગુણની ગણતરીમાં કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીને પરિણામ આપવાનું થશે અને તેને એલ.સી આપવાનું થશે તેમાં સામાન્ય સંજોગોમાં જે વિગતો દર્શાવવામાં આવે છે તે જ વિગતો દર્શાવવાની રહેશે.