ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ સરકારી હોસ્પિટલો કે જાહેર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબો નિવૃત્ત થયા બાદ ત્રણ વર્ષ સુધી તેઓ પે-માઇનસ પેન્શન સ્કીમ અંતર્ગત બીજા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી શકશે.
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે હાલમાં સરકારી ડોક્ટરોની નિવૃત્તિ વયમર્યાદા ૬૨ વર્ષની છે. હવે તેઓને નિવૃત્તિ બાદ પણ વધુ ત્રણ વર્ષ સુધી નિમણુક અપાશે. જમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોનો સમાવેશ થાય છે. અત્યારે ગુજરાતની સરકારી સેવાઓમાં ડોક્ટરોની અછત છે. ડોક્ટર બનીને બહાર આવતા પૈકીના મોટા ભાગના ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસમાં જોડાઈ જાય છે.
આવી સ્થિતિમાં ડોક્ટરોની સંખ્યા વધારવા માટે નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી સરકારી હોસ્પિટલોમાં કામગીરી અને મેડિકલ કોલજોમાં સેવા ચાલુ રહે તેવી નીતિ સરકારે નક્કી કરી છે. જે મુજબ નિવૃત્તિ પછી પણ ત્રણ વર્ષ સુધી પે-માઇનસ પેન્શનની આકર્ષક પગાર યોજના મુજબ નિમણૂક અપાશે.
દર વર્ષે મોટી સંખ્યામાં જે ડોક્ટરો નિવૃત્ત થાય છે તેઓ સરકારી સેવામાં કાર્યરત રહી શકશે. સાથોસાથ મેડીકલ કોલેજો ખાતે પણ અનુભવી તબીબી શિક્ષકોની સેવાઓ વધુ સમય સુધી મળી શકશે. તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકો અને તબબોને વયનિવૃત્તિ બાદ નિમણૂક અપાશે.