ગાંધીનગરઃ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રસની નવી સરકાર દ્વારા ખેડૂતોની દેવા માફીની અસર દેશના ભાજપ શાસિત સરકારો પર દેખાઇ રહી છે. હવે ભાજપ શાસિત રાજ્ય પણ ખેડૂતોના હકમાં દેવા માફી અને બિલ માફીની જાહેરાત કરી રહ્યા છે. જેને લઇને ગુજરાત સરકારે ખેડૂતોના 650 કરોડ રૂપિયાના વિજળી બિલ માફ કર્યા છે.
જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીના બાકી બિલો માફ કર્યા છે. સરકાર દ્વારા ગ્રામ્ય ઘરવપરાશ અને વાણિજ્ય વિજ બિલો માફ કરવામાં આવ્યા છે. સરકારે કુલ 650 કરોડના બાકી બિલો માફ કર્યા છે. જે લોકોના કનેક્શનો કપાઈ ગયા છે તેમના સરકાર દ્વારા બિલ માફ કરવામાં આવ્યા છે. ત્યારે હવે તે લોકો 500 રૂપિયા ભરી પરત કનેક્શનો મેળવી શકશે. સાથે જ શહેરી વિસ્તારમાં BPL કુંટુબોના ઘર વપરાશના બાકી વીજ બિલ પણ માફ કરવામાં આવ્યા છે. આ મામલે 28 ફેબ્રુઆરી સુધી વીજ ધારકોએ અરજી કરવી પડશે.
સવા 6 લાખ ખેડૂતોને ફાયદો
ગુજરાત સરકારના આ નિર્ણયથી 6.22 લાખ ખેડૂતો અને ગરીબોને લાભ મળશે. ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ રાહતની જાહેરાત કરતા કહ્યું કે આઇપીસી કલમ 124 અને 135 હેઠળ વિજળી ચોરી અને ફરી વિજળીનું બિલ ન ભરવાના કારણે તેમની લાઇનો કાપી નાખવામાં આવી હતી તેઓ 500 રૂપિયા ભરી ફરી કનેક્શન મેળવી શકશે. જેનો ફાયદો ખેતી અને કોમર્શિયલ ગતિવિધિઓ માટે વિજળીનો ઉપયોગ કરનારા લોકોને મળશે.